Sunday, 15 September 2024

ભારતીય મેગાલિથિક માનવી, ખરેખર કોણ હતા?


શું તમને લાગે છે કે પરગ્રહ વાસીએ ક્યારેય પૃથ્વી ઉપર આવીને ઉતર્યા હતા? ? શું કદાવર પિરામિડ, યુરોપમાં દેખાતા રહસ્યમય પાક વર્તુળો ( ક્રોપ સર્કલ્સ), ઈન્કા સંસ્કૃતિ, એસ્ટરની વિશાળ મૂર્તિઓ અને ઈંગ્લેન્ડના પ્રચંડ દેખાતા સ્ટોનહેંજ તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા? આવું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે. કારણકે જ્યારે ઇતિહાસ લખવાની શરૂઆત નહોતી થઈ! તે સમયે વિશાળકાય પથ્થરો વડે સ્થાપત્ય ઊભું કરવું મુશ્કેલ વાત ગણાય છે? ટેકનોલોજીના વિકાસ બાદ, આધુનિક ઇજનેરોએ પણ, પિરામિડ જેવા વિશાળકાય સ્મારક ઊભા કરવા હોય તો, નાકે દમ આવી જાય. તો પછી જ્યારે ટેકનોલોજી નો વિકાસ થયો નહોતો, ત્યારે માનવીએ આવા સ્મારક કેવી રીતે ઉભા કર્યા? પૃથ્વી ઉપર પથરાયેલા આવા અસંખ્ય સ્થાપત્ય અને અજાયબી માનવીને આશ્ચર્યમાં મૂકી દે છે! આધુનિક ટેકનોલોજીની ગેરહાજરીમાં, માનવીના પ્રયત્નોનું પરિણામ આપણી નજર સામે છે. જે લગભગ અશક્ય જેવું લાગે. રહસ્યમય પણ લાગે? આવા રહસ્ય ઉકેલવા માટે આપણે પુરાતત્વવિદોની મદદ વડે ઊંડું (શાબ્દિક રીતે) ખોદકામ કરીએ છીએ, પરિણામે આપણે આપણા રહસ્યમય ભૂતકાળના આશ્ચર્યજનક જવાબો જાહેર કરવા માટે કેટલીક કડીઓ શોધી શકીએ છીએ.

મેગા સ્ટોન સર્કલ: સ્મશાનભૂમિમાં શું સામ્ય છે?

ઇંગ્લેન્ડમાં આવેલ સ્ટોનહેંજ એ એવું જ એક આકર્ષક સ્મારક છે. જેમાં 13 વિશાળ પત્થરો (13 ફૂટ ઊંચા, 7 ફૂટ પહોળા) એક વર્તુળમાં ઊભા છે, જે અનિવાર્યપણે સંસ્કૃતિના નિયોલિથિક અને કાંસ્ય યુગના દફનભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. આ બધું ખરેખર અદ્ભુત છે, પરંતુ તેને આપણા દેશ ભારત અને મહારાષ્ટ્રમાં આવેલ પૂણે શહેર સાથે શું લેવાદેવા છે? શું તમે જાણો છો કે ઈંગ્લેન્ડના સ્ટોનહેંજ અને પુણે ખાતે આવેલ મેગા સ્ટોન સર્કલ સ્મશાનભૂમિમાં શું સામ્ય છે? ભારતીય ઉપખંડમાં પ્રાચીનકાળમાં વસનાર મેગાલિથિક મેન-લોકો વિશાળ પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં બહુ પાછળ નહોતા. તેમણે સ્ટોનહેંજ જેવીજ રચના પૂણેના ભોસારીના ઉપનગરમાં વિશાલ પથ્થરો દ્વારા બનેલ સ્મશાન ભૂમિ જેવી નિશાની છોડી છે. 1885માં જ્યારે ગેઝેટિયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સીના બ્રિટિશ લેખકોએ પુણેના ઈતિહાસ વિશે લખ્યું ત્યારે, તેઓ આ ભેદી મનુષ્યો તેમજ પુણેની આસપાસના તેમના અવશેષોથી અજાણ હતા. પરંતુ આધુનિક યુગમાં, કેટલાક વિદ્વાનો અને આર્કિયોલોજીસ્ટોએ, ભારતીય ઇતિહાસના ખોવાયેલા પ્રકરણોને શોધી કાઢવાનો સુંદર પ્રયાસ કરેલ છે. જેમાં હિન્દુસ્તાનમાં વસનાર મેગાલિથિક સિવિલાઈઝેશન અને તેની સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવી, એક રહસ્યમય પઝલ જેવા ઉખાણાનો ભેદ, ઉકેલવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.

મેગાલિથિક સંસ્કૃતિની પૂર્વધારણા સૂચવે છે કે મેગાલિથ્સ જેમ કે ગીઝાના પિરામિડ, સ્ટોનહેંજ અને સમગ્ર વિશ્વમાં અન્ય મેગાલિથિક બંધારણો, લોકોના સામાન્ય જૂથ અથવા સંસ્કૃતિ દ્વારા નિયોલિથિક સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા. એલેક્ઝાન્ડર થોમએ આવી રચના કરનાર - રચનાકાર એટલે કે બિલ્ડરોનો ઉલ્લેખ મેગાલિથિક માણસ તરીકે કર્યો હતો. આ પૂર્વધારણા મેગાલિથિક મેટ્રોલોજીમાં મળેલા ચોક્કસ માપ પર આધારિત છે, જે લગભગ તમામ જાણીતા મેગાલિથ્સ માટે જોવા મળે છે. આ પૂર્વધારણા વિજ્ઞાન જગતના મુખ્ય પ્રવાહના કેટલાક સિદ્ધાંતોને પડકારે છે. આ કારણે જ પોતાને આધુનિક ગણાવતા કેટલાક વૈજ્ઞાનિક સમુદાયો, મેગાલિથિક સંસ્કૃતિ માટેના સંશોધનને સ્યુડો-સાયન્ટિફિક માને છે. વિજ્ઞાન જગત અને વિજ્ઞાનીઓ માટે મહત્વની વાત એ છે કે પોતાની માન્યતા કે ધારણાને વળગી રહેવા કરતા, સત્યની શોધ કરવાનો ધ્યેય, તેમની પ્રાથમિકતા બનવો જોઈએ. પ્રવર્તમાન સિદ્ધાંતોને પડકાર ફેકનાર પૂર્વધારણાઓ ઉપર પણ સંશોધન થવું જોઈએ. હિન્દુસ્તાનનો મેગાલિથિક માનવી પણ, આવા જ એક રહસ્યમય સમયકાળમાંથી આવે છે. હિન્દુસ્તાનમાં અનેક ઠેકાણે તેમણે રચેલા, પથ્થરના સ્મારકો જોવા મળે છે.

પુનાની નજીક આવેલ ભોસારી: પ્રોટો- ઐતિહાસિક અવશેષો

પુનાની નજીક આવેલ ભોસારી એક પ્રાચીન સભ્યતા અને જૂની વસાહત ધરાવતું સ્થળ છે. સ્થાનિક લોકોની દંત કથાઓ અને યાદદાસ્ત મુજબ, ભોસારી એ ભોજપુર તરીકે ઓળખાતી જૂની વસાહત છે અને તેની પાસે "કોટ" તરીકે ઓળખાતી કિલ્લેબંધી હતી. જૂના ગામમાં, મધ્યકાલીન અવશેષો મહાદેવ મંદિરના સ્વરૂપમાં, ખંડોબાના મંદિર સાથે, ચેડોબા, મુંજાબા, બાબપૂજી બુવા જેવા લોક દેવતાઓના મંદિરની સાથે સાથે અને કેટલાક હીરોસ્ટોન્સ સ્વરૂપમાં ગોઠવાયેલી રચનાઓ પણ, પથ્થર સ્વરૂપે વિખરાયેલી પડી હતી. 1939માં ડૉ. સાંકલિયા અને તેમની ટીમને પથ્થરની રચનાના નિશાન મળ્યા હતા. જે ઘણી સદીઓ પ્રાચીન માનવામાં આવતા હતા. પ્રોટો- ઐતિહાસિક સમયગાળાના આ અવશેષો, પથ્થરને ઘડીને આકાર આપ્યા વિના જ, પથ્થરના એક વિશાળ વર્તુળમાં ઉભા ગોઠવવામાં આવેલ છે. ઉભા ગોઠવવામાં આવેલ વિશાળ પથ્થરને આરકિયોલોજીસ્ટ “મેનહિર્સ” તરીકે ઓળખે છે. “મેનહિર્સ”માં એક ટટ્ટાર, આશરે ઊંચો ત્રિકોણાકાર ફ્લેટ સ્લેબ દેખાય છે. કેટલીકવાર, મોટા ત્રણ કે ચાર પથ્થરો કાટખૂણે ગોઠવાયેલા હોય છે. જે મથાળેથી કેપિંગ સ્ટોનથી ઢંકાયેલા હોય છે. નિષ્ણાતો તેને "ડોલ્મેન" તરીકે ઓળખે છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે આમાંના કોઈપણ પત્થરોમાં કોઈ છીણીના ચિહ્નો નથી! કે તેમાં પથ્થરોને જોડવા માટે સિમેન્ટિંગ સામગ્રી નથી! આપણને આશ્ચર્યએ વાતનું થાય કે આવા મોટા પથ્થર દૂરથી લાવીને, ચોક્કસ જગ્યાએ કેવી રીતે ખસેડવામાં આવ્યા હતા? તેને ચોક્કસ જગ્યાએ કેવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા? આ આ પ્રકારની રચનાઓ આકોલોજીસ્ટના મત મુજબ મુજબ પ્રોટો-ઐતિહાસિક દફનસ્થળને દર્શાવે છે. જેને યોગ્ય રીતે "મેગાલિથિક" (મોટા પથ્થરોના) તરીકે ઓળખવામાં આવે છે. આવા બાંધકામની રચના કરનાર માનવીને ઇતિહાસ મેગાલિથિક માનવી તરીકે ઓળખે છે. હિન્દુસ્તાનમાંથી મળેલ આ સભ્યતાના કેટલાક પુરાવાઓમાં, મેગાલિથિક માનવીએ બે ધાતુનો ઉપયોગ અથવા મિશ્રધાતુ વાપરવાના પ્રયોગ પણ કર્યા હતા, તેવું જોવા મળે છે. તાંબાના હાથા અને લોખંડના ફણાવાળા જમૈયા મહારાષ્ટ્રમાંથી મળ્યા છે.
કલાકૃતિમાં રહેલું કૌશલ્ય

આંધ્રપ્રદેશમાંથી મળેલા ઘંટ તાંબાનો અને અંદરનો ભાગ લોખંડનો બનેલો છે. કેટલાક સ્થાન પર સોનાની વસ્તુઓ મળી આવી છે. સોનીકામમાં પણ તેમની શ્રેષ્ઠતા જોવા મળે છે. સોના અને ચાંદીને મિશ્ર કરી બનતી ઈલેક્ટ્રમ ધાતુકામ પણ સુંદર છે. અહીંના સોની એક મીલીમીટર જેટલો પાતળો વાયર પણ બનાવી શકતા હતા. આ વાયરના ગૂંથેલા આભુષણ પણ મળ્યા છે. તેઓ મણકા બનાવવામાં પણ પારંગત હતા. તેઓ અકીક અને સ્ફટીકમય કિંમતી પથ્થરનાં મણકા બનાવતા. અકીક ઉપર જોઈતી પ્રાણી, પક્ષી કે વૃક્ષની છાપ ઉપસાવતા. દક્ષિણ ભારતના ઘણાં સ્થળોએ મળી આવેલ આવી ભાતભાતની ડિઝાઈનોમાં સમાનતા જોવા મળી છે. હિન્દુસ્તાનના દક્ષિણ ભાગમાં આવેલ અને પૂર્વ ભાગમાંથી, મેગાલિથિક માનવીનાં બાંધકામ જોવા મળ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં પુના નજીક મળી આવેલી પ્રાચીન સ્થાપત્ય ની નિશાનીઓ , ઇતિહાસકારને પણ આશ્ચર્યમાં નાખી દે તેવી વાત છે.

એકંદરે, સમગ્ર વિસ્તાર પ્રોટો-ઐતિહાસિક સ્મશાનભૂમિ હોય તેવું લાગતું હતું. મોટાભાગે હિંદુ સભ્યતામાં મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક આદિજાતિના લોકો મૃતકને દફન કરતા હતા. આજે પણ મહાર સમુદાયમાં મૃતકને દફન કરવાની દફનવિધિની પરંપરા, કેટલાક સ્થાનો ઉપર ચાલુ રહી છે. પરંતુ તે લોકો દફન સ્થળને અંકિત કરવા માટે વિશાળ પથ્થરો દ્વારા સ્મારકની રચના કરતા ન હતા? આ સ્થાન ઉપર પ્રાચીન વસાહત અને હિન્દુ ધર્મના મંદિરોનું અસ્તિત્વ , સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતું નથી. મેગાલિથિક માનવો અને વર્તમાન વિચરતી આદિજાતિઓ વચ્ચેના કેટલાક મહત્વપૂર્ણ સંબંધોને વિદ્વાનોએ ઉકેલવા પડશે. અલબત્ત, પરંપરાના ધોવાણ અને જમીન પરના ભૌતિક પુરાવાના નુકશાનને કારણે આવી પ્રથાઓની સાતત્યતા શોધવાનું, આર્કિયોલોજીસ્ટ માટે મુશ્કેલ બન્યું છે. આધુનિક કાળમાં કેટલાક સમુદાયોએ પણ આંધળાં રિવાજનું પાલન કર્યું હતું. મેગાલિથિક બંધારણ સાથે સામ્યતા ધરાવવા માટે "આધુનિક ડોલ્મેન જેવું" માળખું ઊભું કર્યું હતું. આ બે વચ્ચેનો તફાવત શોધી કાઢવો પડશે.

મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા?

આજે અંતે એક સવાલ જરૂર થાય કે આ મેગાલિથિક માનવી ખરેખર કોણ હતા? આ સવાલનો અંતિમ અને ફાઈનલ જવાબ આપવો મુશ્કેલ છે. ભારતીય સંસ્કૃતિનાં ઈતિહાસમાં અને ખાસ કરીને પુરાતત્ત્વ વિજ્ઞાનમાં આ લોકોના યોગદાનને અમૂલ્ય ગણનામાં આવે છે. જે અવશેષો મળ્યા છે. તે ઉપરથી અનુમાન લગાવી તેમની જીવનશૈલીની કલ્પના જરૂર થઈ શકે છે, પરંતુ તેમના જીવનની ઘણી બધી વાતો હજી રહસ્યમય ભૂતકાળમાં જ છુપાયેલી છે. તેઓ કલા અને ટેકનોલોજીજ ક્ષેત્રે આગળ હતા. તેઓ ભટકતું જીવન ગુજારતા હતા. તેમની મુખ્ય પ્રવૃતિ પશુપાલન રહી હતી. છેલ્લા આર્કિયોલોજીકલ પુરાવા બતાવે છે કે તેઓ જેમ જેમ સુંસ્કૃત થતા ગયા તેમ તેમ સ્થાયી જીવન જીવવા લાગ્યા હતા. તેઓએ ખેતીને વ્યસાય તરીકે અપનાવ્યો હતો. તેમની શબદાહ કે દફન કરવાની પદ્ધતિ વિશિષ્ટ હતી. આ પદ્ધતિએ જ તેમને વર્ષો બાદ ઓળખ છતી કરવાનો અવસર આપ્યો છે. ઘણી જગ્યાએ ખોદકામ કરવા છતાં તેમના શરીરના અવશેષોનો ખૂબ જ ઓછો ભાગ મળી આવ્યો છે. તેના ઉપર મૂકેલ વજન અને દબાણના કારણે હાડપિંજર તૂટી કે પિસાઈ ગયા છે.

શારીરિક લક્ષણો પરથી અભ્યાસ કરનારા નૃવંશશાસ્ત્રીઓને પણ ગણીગાંઠી ખોપરી મળી છે. જેના ઉપરથી ચિત્ર દોરવું મુશ્કેલ છે. નૃવંશશાસ્ત્રીઓના અભિપ્રાય પણ ભિન્ન ભિન્ન છે. કેટલાક તેમને ઉત્તર- પશ્ચિમના યુરોપના રોમનકાળ પહેલાનાં માનવી ગણે છે. કેટલાક તેમને પ્રવિડીયલ કહે છે. કેટલાકના મત પ્રમાણે તેઓ 'મેડીટેરીઅન સી તરફના દરિયાઈ કાંઠાના લોકો જ હતા. જે દરિયામાર્ગે ભારત આવ્યા હતા. તેઓ પશ્ચિમ કે મધ્ય એશિયાના મૂળ વતની હશે. તેમની ઓળખ પર રહસ્યનો અડધો પડેલો જ રહેશે તેવું લાગી રહ્યું છે. આ તબક્કે એવું લાગે છે કે ‘આ લોકોની સાચી ઓળખ મેળવવામાં હાલના ભારતીય સંશોધકોને રસ રહ્યો નથી.’ યુનિવર્સિટીઓમાં થતું સંશોધનકાર્ય શૂન્યની કક્ષાએ જઈ પહોંચ્યું છે. ચોક્કસ ધ્યેય સાથે કામ કરનારા પુરાતત્ત્વવિદ્ અને નૃવંશશાસ્ત્રીઓની ખોટ છે. મોટી ખામી સરકારની સહાય અને પ્રાચીન ઈતિહાસને દફનજ રાખવાની ભારતીયવૃત્તીમાં છુપાઈ છે. કદાચ આવતીકાલે આ ભૂમિદાહની જગ્યા કોઈ, નવા પુરાવાઓ આપે ત્યારે આપણે મૈગાલિથિક માનવીની સાચી ઓળખ પામી શકીશું.

Sunday, 14 July 2024

મુઘલોના વંશજો આજે ક્યાં છે?


શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?


1858માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા છેલ્લા મુઘલ સમ્રાટને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હતો. કંપનીના સૈનિકો સાથેના  યુદ્ધ બાદ,  દિલ્હીમાં રહેલ મુઘલ  સલ્તનતનું પતન  થયું હતું.  દિલ્હીના પતન બાદ,  મુઘલ સમ્રાટને બર્મામાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તેમનું મૃત્યુ મુઘલ વંશનો અંત દર્શાવે છે.  આમ છતાં  મુઘલ સમ્રાટ સિવાય  તેના અન્ય વંશજોનું શું થયું? એક સવાલ,  સૌના મનમાં થાય તેવો છે.


મુઘલોના વંશજો આજે ક્યાં છે? શું તેઓ હજુ પણ એટલા જ શ્રીમંત છે? જેટલા તેઓ એક સમયે હતા?


બહાદુર શાહ II ના શાસનકાળના ઈતિહાસકાર અને મુગલ ટ્રસ્ટના સ્થાપક સભ્ય પ્રોફેસર અસલમ પરવેઝે ડેઈલી ટેલિગ્રાફને કહ્યું:

"એવા ઘણા લોકો છે જેઓ વંશજ હોવાનો દાવો કરે છે.બળવા પછી દિલ્હીથી ઘણા મુઘલો વિખેરાઈ ગયા હતા, હૈદરાબાદ ભાગી ગયા હતા અને કોઈને ખબર નથી કે કોણ ક્યાં ગયું," તેમણે કહ્યું  હતું.


રાજવંશની પદભ્રષ્ટીના કારણે, બ્રિટિશ કમાન્ડર દ્વારા એક હિંસક સંઘર્ષ, પછી બ્રિટિશરોએ પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો-રાજવીઓના નરસંહાર  કરાવ્યો હતો. રાજકુમારોને બળદગાડા પર બેસાડીને દિલ્હી શહેર તરફ લઈ જવામાં આવ્યા. તેઓ  જ્યારે શહેરના દરવાજા પાસે પહોંચ્યા, ફરીથી લોકોનું ટોળું તેમની આસપાસ એકઠું થવા લાગ્યું હતું. બ્રિટિશ કમાન્ડર હોડસને ત્રણેય રાજકુમારોને  બળદ ગાડામાંથી ઉતરવા અને તેમના  ઉપરના વસ્ત્રો ઉતારવાનો આદેશ આપ્યો. ત્યારબાદ તેણે તેના એક સૈનિક પાસેથી કાર્બાઈન ગન લીધી. તેમને ગોળી મારી દીધી. તેમની સિગ્નેટ વીંટી, પીરોજ આર્મ બેન્ડ્સ અને બિજવેલ્ડ તલવારો  લેવામાં આવી હતી.


તેમના મૃતદેહોને કોતવાલી અથવા પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.  જેથી  હિન્દુસ્તાની પ્રજા  આરામથી તેમને જોઈ શકે. જ્યાં પદભ્રષ્ટ સમ્રાટના પુત્રો માર્યા ગયા હતા, તેની નજીકના દરવાજાને હજુ પણ ખૂની દરવાજા અથવા ' લોહિયાળ દરવાજો' કહેવામાં આવે છે.


આ એક અર્થપૂર્ણ છેકે અન્ય વંશજોએ,  બ્રિટિશરોના પ્રતિશોધના ડરથી ભાગી જવું  હતું.  જેના કારણે  તેઓએ દિવસો ગુમનામીમાં પસાર કરવાનું શ્રેષ્ઠ માન્યું હશે. નીચે ચિત્રમાં, દિલ્હીના ઈમ્પિરિયલ સિટીના ઓલ્ડ બ્લડી ગેટ, જ્યાં માર્યા ગયેલા રાજકુમારોના શબને સડવા માટે છોડી દેવામાં આવ્યા હતા.  તેને આજે ઐતિહાસિક કલાકૃતિ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે.


1857ના  પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ બાદ,  મુઘલ સલ્તનત સાથે  જોડાયેલા ઘણા લોકો કલકત્તા ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. જ્યાં  ખાનગી ટ્રસ્ટ  દ્વારા 70 વંશજોની  ઓળખ કરવામાં આવી છે. ઔરંગાબાદ માં  સૌથી વધુ  200  વંશજો  રહેતા હોવાનું માનવામાં આવે છે. અન્ય લોકો પાકિસ્તાન અને બર્મામાં રહેતા હોવાનું માનવામાં આવે છે. ( સાચું ખોટું રામ જાણે)


હાલ તેમાંથી કેટલાક નોંધપાત્ર ગરીબીમાં જીવે છે. એક મહિલા, સુલતાના બેગમ, જે ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્તની વિધવા હોવાનો દાવો કરે છે.  જેને પુરાવા તરીકે 400 રૂપિયા (£5.40) મહિનાનું રાજ્ય પેન્શન  સરકાર આપતી હતી.

એવું લાગે છે કે ભારત સરકાર સુલતાના બેગમના દાવાને અધિકૃત તરીકે ઓળખે છે. જે તેમને ટોકન પેન્શનની ચુકવણી દ્વારા સ્પષ્ટ થાય છે.  ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ  રાજ્ય અને મળતા સાલીયાણા બંધ કરી દીધા હતા.


તે સમયે તેણીએ કહ્યું, "મને પરિવારના વંશને કારણે ભારત સરકાર તરફથી 400 રૂપિયા પેન્શન મળે છે." "હું ક્યારેક રોજના 20 કે 25 રૂપિયામાં બંગડીઓમાં  સુશોભનના પથ્થર  ગોઠવવા જેવા વિચિત્ર કામ કરું છું." તેમના પતિ મિર્ઝા મોહમ્મદ બેદાદ બખ્ત અર્ધ કિંમતી  આવા  સુશોભનના પથ્થરોનો વેપાર કરતા હતા.


અધિકૃત રીતે, તૈમુરીદ/ખાનદાન-એ-તૈમૂર/તૈમુરિયન (خاندانء تیموریان‎) ઉર્ફે ગોરકાનિયાં/ખાંદન-એ-ગોરકાનિયાં (خاندانء گورکانیان‎) ઉર્ફે મુઘલ રાજવંશ/ખાનદાન-એ-મુગલીયા (خاندانء مغليه) ભારતીય યુદ્ધ સાથે સમાપ્ત થયું.  હિન્દુસ્તાનની સ્વતંત્રતા  બાદ,  હવે દરેક રાજવંશનો  ઔપચારિક રીતે અંત આવી ગયો છે.


Monday, 19 February 2024

અયોધ્યા: આર્કિયોલોજીના પુરાવાઓ શું કહે છે?



મનુષ્યના ભૂતકાળને આપણે ઇતિહાસ જેવું રૂપાળું નામ આપેલ છે. હજારો વર્ષના પ્રાચીન ઇતિહાસને સમજવા માટે, પ્રાચીન ગ્રંથના સંદર્ભ અને પુરાતત્વવિદ્યા એટલે કે આર્કિયોલોજી ઉપયોગી બને છે. આર્કિયોલોજી વિજ્ઞાનની જ એક શાખા છે. જેનો અભ્યાસ કરવા માટે પ્રાણીશાસ્ત્રથી લઇ નૃવંશશાસ્ત્ર, વનસ્પતિ વિજ્ઞાન રસાયણશાસ્ત્ર સુધીનું જ્ઞાન હોવું જરૂરી છે. માનવ ઇતિહાસને સમજવા માટે, ચોક્કસ કાલખંડનો અભ્યાસ પણ જરૂરી છે. ભૂતકાળમાં દ્રષ્ટિપાત કરીએ ત્યારે આપણે અનોખા પ્રકારની ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા હોય તેવો રોમાન્સ પેદા થાય છે. પ્રાચીન ગ્રંથ રામાયણ અને મહાભારત, વૈદિક સંસ્કૃતિના દસ્તાવેજો છે. જે તે સમયની સભ્યતા અને સંસ્કૃતિના પરોક્ષ ઇતિહાસ જેવા છે. તેની સત્યતા ચકાસવા માટે કેટલાક લોકો, પુરાતત્વ વિદ્યાનો સહારો લેતા હોય છે. જેમ ન્યાયાલય પુરાવાઓ અને સાબિતીઓ ઉપર પોતાનો ચુકાદો આપતા હોય છે. તેમ વિજ્ઞાન પણ પુરાવાઓ અને સાબિતીઓનો આધાર લઈ સમસ્યાના ઉકેલનું કામ કરતું હોય છે. પ્રાચીન અયોધ્યાને શોધવા માટે પુરાતત્વવિદોએ અનેક વાર પ્રયત્ન કર્યા છે. રામ જન્મભૂમિ અને અયોધ્યાના મામલે આર્કિયોલોજી શું કહે છે? તેના ઉપર એક વિહંગ દ્રષ્ટિપાત કરી લઈએ.

અયોધ્યા: ઇતિહાસના પડદા પાછળ

1838થી જ રામ જન્મભૂમિનો પ્રશ્ન, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજ અફસરોને સતાવતો હતો. 1860માં બંગાળ સિવિલ સર્વિસના બ્રિટીશ ઓફિસર પી. કારનેગીએ પોતાના અહેવાલમાં લખ્યું હતું કે “1528માં બાબરે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેના હુકમના કારણે મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. મંદિરના સ્થાને મસ્જિદ ઊભી કરવામાં આવી હતી. જેને સ્થાનિક પ્રજાએ બાબરી મસ્જિદ નામ આપ્યું હતું. મંદિરના તૂટેલા કાટમાળમાંથી કેટલાક સ્તંભનો ઉપયોગ મસ્જિદ બનાવવામાં કરવામાં આવ્યો હતો.” કારનેગીએ પોતાના રિપોર્ટમાં એ પણ નોંધ્યું હતું કે “ હિન્દુઓના મંદિર તોડવા અને તેના ઉપર મસ્જિદ બાંધવીએ મુસ્લિમ આક્રમણખોરોનો પ્રાથમિક સિદ્ધાંત રહ્યો છે. એટલું જ નહીં જીતેલી પ્રજા ઉપર તેમનો ધર્મ થોપી દેવામાં આવતો હતો.” અહીં એક મુદ્દો યાદ રાખવા લાયક છે. મોટાભાગે ઈસ્ટ ઈન્ડિયા શાસન કાળ દરમિયાન, અંગ્રેજ અફસર બ્રિટિશ શાસનને અનુરૂપ થાય, તેવા રિપોર્ટ નોંધતા આવ્યા છે. તેમની “ભાગલા પાડો અને રાજ કરો નીતિ”ના આધારે તેઓ હિન્દુસ્તાનમાં ટકી જવા માંગતા હતા. ભવિષ્યમા બ્રિટિશ અમલદારોની નીતિના કારણે, રામ જન્મભૂમીનો મુદ્દો વધારે સેન્સેટિવ બનવાનો હતો.

હિન્દૂ-મુસ્લિમ વચ્ચે રામ જન્મભૂમિ મેળવવા માટે પ્રથમ લોહિયાળ જંગ 1853-55 વચ્ચે શરૂ થયો હતો. આ ઘટનાના પાંચ સાત વર્ષ બાદ, ભારતમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861માં અંગ્રેજ અફસર એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા કરવામાં આવી હતી. જેઓ તેના પ્રથમ ડિરેક્ટર જનરલ પણ બન્યા હતા. ઉપખંડના ઇતિહાસમાં સૌપ્રથમ પદ્ધતિસરનું સંશોધન એશિયાટિક સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેની સ્થાપના બ્રિટિશ ઈન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સ દ્વારા 15 જાન્યુઆરી 1784ના રોજ કરવામાં આવી હતી. કલકત્તા સ્થિત, સોસાયટીએ પ્રાચીન સંસ્કૃત અને ફારસી ગ્રંથોના અભ્યાસને પ્રોત્સાહન આપ્યું અને વાર્ષિક જર્નલ પણ પ્રકાશિત કરતા હતા. એશિયાટિક સોસાયટીના કેટલાક સભ્ય આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના સભ્ય પણ હતા. 1862-63માં એલેક્ઝાન્ડર કનિંગહામે અયોધ્યાના સર્વેક્ષણનું પ્રથમ કાર્ય કર્યું હતું. ત્યારબાદ 1889-91માં, એલોઈસ એન્ટોન ફુહરરની આગેવાની હેઠળ ASI ટીમે અયોધ્યાનો બીજો સર્વે હાથ ધર્યો હતો.

એલોઈસ એન્ટોન ફુહરર: જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

ગુજરાતીમાં કહેવત છે - જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એલોઈસ એન્ટોન ફુહરર એક જર્મન ઈન્ડોલોજિસ્ટ હતા. જેમણે ભારતના પુરાતત્વ સર્વેક્ષણ માટે કામ કર્યું હતું. તેમના અભ્યાસનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ હતો. તેઓ પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેઓ બૌદ્ધ ધર્મના સ્થાપત્યની શોધખોળ કરતા હતા. તેમની દ્રષ્ટિ બૌદ્ધ ધર્મથી રંગાયેલ હોવાથી, બૌદ્ધ ધર્મનો ઇતિહાસ અને સૃષ્ટિ તેમને વધુ દેખાતી હતી. તેમને હિન્દૂ સભ્યતાં કોઈ અવશેષ અયોધ્યામાં જોયા ના હતા. અયોધ્યાના સ્થળે તેમણે અનિયમિત તૂટેલા ખંડેરના ઢગલાઓ જોવા મળ્યા હતા. મસ્જિદ રચના બાદ વધેલા ભંગારના ટેકરાઓ પણ હતા. તેમને જે પ્રાચીન બાંધકામના માટીના ઢગલા જોવા મળ્યા તે સ્થળ, મણીપર્વત, કુબેર પર્વત અને સુગ્રીવ પર્વત તરીકે જાણીતા હતા. જેના ઉપરથી એલેક્ઝાન્ડર કનિંગહામે શોધી કાઢ્યું કે “ ચીની મુસાફર હ્યુ એન સાંગના લખાણમાં આ ત્રણેય સ્થળનો ઉલ્લેખ છે.

આ બંને અંગ્રેજો માનતા હતા કે રામાયણકાલીન પ્રાચીન અયોધ્યા નગરી, કૌશલ નરેશ બૃહદબલાના મૃત્યુ બાદ ( ઈસવીસન પૂર્વે 1426માં) નાશ પામી હતી. (બૃહદબલાનો ઉલ્લેખમાં મહાભારતમાં થયેલો જોવા મળે છે. બૃહદબલા મહાભારતમાં યુદ્ધમાં કૌરવો તરફથી યુદ્ધ લડ્યો હતો. અભિમન્યુએ તેનો વધ કર્યો હતો.) ત્યારબાદ અયોધ્યામાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયો. જૈન ધર્મના 24 તીર્થંકરો છે. પ્રથમ પાંચમાંથી ચાર (ત્રીજા તીર્થંકર સંભવનાથ સિવાયના)તીર્થંકરનો જન્મ અયોધ્યામાં થયો હતો. મુસ્લિમ વિચારો પ્રમાણે આદમના પુત્ર “શેઠ”નું દફનસ્થાન પણ અયોધ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. 1881માં ભગવાન આદિનાથને સમર્પિત શ્વેતાંબર જૈન મંદિર બાંધવાની શરૂઆત થઈ હતી.
એલોઈસ એન્ટોન ફુહરર નોંધે છે કે “ મુસ્લિમ આક્રમણ પહેલા અયોધ્યામાં ત્રણ મહત્વના મંદિરો હતા, રામ જન્મભૂમિ, સ્વર્ગ દ્વાર અને ત્રેતા કે ઠાકુર.” ફુહરરની માહિતી પ્રમાણે 1523માં મીર ખાન દ્વારા બાબરી મસ્જિદ બાંધવામાં આવી હતી. મંદિરના કેટલાક સ્તંભનો ઉપયોગનો ઉપયોગ મસ્જિદ બાંધવા માટે કરવામાં આવ્યો હતો. જેમાંના કેટલાક સ્તંભ બ્લેક સ્ટોન ના બનેલા હતા. જેને સ્થાનિક લોકો કસોટી તરીકે ઓળખતા હતા.” ઔરંગઝેબ દ્વારા સ્વર્ગદ્વાર અને ત્રેતા કે ઠાકુર મંદિર સ્થાને મસ્જિદ બાંધવામાં આવી હતી. ત્રેતા કે ઠાકુર મંદિર પાસેના ખોદકામમાંથી કનોજના જયચંદ્રના સમયનો શિલાલેખ મળી આવ્યો હતો. જે વિક્રમ સંવત 1241 (ઈ.સ.1185માં તૈયાર કરવામાં આવ્યો હતો. જે હાલમાં ફૈઝાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. ત્યારબાદ ભારત આઝાદ થયું ત્યાં સુધી, અયોધ્યામાં પુરાતત્વ સર્વેક્ષણ થયું હોવાના કોઈ સંદર્ભ કે નોંધ મળતી નથી.

આર્કિઓલોજિ ઓફ અયોધ્યા: આધુનિક ખોદકામ


બનારસ હિન્દુ યુનિવર્સિટીના અવધ કિશોર નારાયણે 1969-70 દરમિયાન અયોધ્યામાં ખોદકામનું નેતૃત્વ કર્યું હતું. તેમણે નોંધ્યું છે કે અયોધ્યાની સ્થાપના ઈ.સ.પૂર્વે 17મી સદીની શરૂઆતમાં થઈ હતી. તેમના અવલોકનમાં, આ વિસ્તારમાં મજબૂત જૈનો સ્થાપત્યની હાજરીના પુરાવા પણ મળ્યા હતા. વિશાળ પરિપક્ષમાં અયોધ્યાનું આધુનિક પુરાતત્વ સર્વેક્ષણ 1975-76માં કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનું નેતૃત્વ બ્રિજ બાસી લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે “આર્કિઓલોજિ ઓફ અયોધ્યા” પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અયોધ્યા સાથે સંકળાયેલા પાંચ સ્થળોએ તેમણે ખોદકામ કરાવ્યું હતું. જેમાં અયોધ્યા, ભારદ્વાજ આશ્રમ, નંદીગ્રામ, ચિત્રકૂટ અને શૃંગવેરપુરનો સમાવેશ થતો હતો. આ સ્થળો ઉપર કુલ 15 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ભારતની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ હતી. બી.બી. લાલના અનુરોધ કરવા છતાં પણ ફાઈનલ રિપોર્ટ ક્યારેય રજૂ થયો ન હતો. તેમના શંશોધનના આધારે તેઓએ ‘Rama, His Historicity, Mandir and Setu: Evidence of Literature, Archaeology and Other Stories’ પુસ્તક લખ્યું છે. બી. બી. લાલે 20થી વધુ પુસ્તકો અને 150થી વધુ સંશોધન પત્રો અને લેખો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રકાશિત કર્યા છે. 1950ના દાયકામાં થયેલા આર્કિયોલોજી સર્વે વિશે બ્રિટિશ પુરાતત્વવિદો સ્ટુઅર્ટ પિગોટ અને ડી.એચ. ગોર્ડન નોંધે છે “ બી. બી. લાલની બે કૃતિઓ, કોપર હોર્ડ્સ ઓફ ધ ગંગેટિક બેસિન (1950) અને હસ્તિનાપુરા ઉત્ખનન અહેવાલ (1954-1955),જે જર્નલ ઓફ ધ આર્કિયોલોજીકલ ઓફ ઈન્ડિયા સર્વેમાં પ્રકાશિત થઈ હતી, એ સંશોધન અને ઉત્ખનન અહેવાલના સર્વોત્તમ (મૉડેલરૂપ) નમૂનાઓ છે”
એક દાયકા બાદ અયોધ્યા અને રામ જન્મભૂમિ રાજકીય મુદ્દો બની ગયો અને વિવાદાસ્પદ વાતાવરણનું સર્જન થયું. 1992માં કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે, તૂટેલા કાટમાળમાંથી પથ્થર ઉપર કોતરેલા ત્રણ શિલાલેખ મળી આવ્યા હતા. જેમાં સૌથી મહત્વનો શિલાલેખ, “વિષ્ણુ હરિ શિલાલેખ” નામે ઓળખાય છે. જેનું કદ 1.10 x 0.56 મીટરનું છે. એના ઉપર 20 લીટીમાં લખાણ કોતરેલું છે. શિલાલેખ ઈસવીસન 1140માં તૈયાર હોવાના પ્રાથમિક અનુમાન કરવામાં આવે છે. શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર" (ભગવાન) વિષ્ણુ, બાલીનો વધ કરનાર અને દસ માથાવાળા (રાવણનો વધ કરનારને)"ને સમર્પિત કરવામાં આવે છે. શિલાલેખ સંસ્કૃત ભાષાની નાગરી લિપિમાં લખાયેલ છે. વિશ્વ કક્ષાના એપિગ્રાફિસ્ટ્સ અને સંસ્કૃત વિદ્વાનો દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. શિલાલેખ કાવ્યાત્મક શૈલીમાં લખવામાં આવેલ છે. જેમાંનો કેટલોક ભાગ ગદ્યમાં પણ છે.

કોર્ટના આદેશથી થયેલ ખોદકામ

2003માં અલ્હાબાદ હાઈકોર્ટમાં આપેલા નિવેદનમાં, બી. બી.લાલે જણાવ્યું હતું કે તેમણે 1989માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સાત પાનાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના માળખાની દક્ષિણે "પાયાના સ્તંભ અને અન્ય શિખર જેવી રચનાઓની” શોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.” કોઈક કારણોસર તેમના પ્રોજેક્ટને આપવામાં આવતી તમામ ટેકનિકલ સવલતો પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમની વારંવારની વિનંતી છતાં પ્રોજેક્ટને બીજા 10-12 વર્ષ સુધી પુનઃજીવિત કરવામાં આવ્યો ન હતો. છેવટે રામ જન્મભૂમિનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ બન્યો ત્યારે, આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે, કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ સ્થળ ઉપર પુરાતત્વ સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સ્થળે ખોદકામ કરતાં પહેલાં, દિલ્હી સ્થિત તોજો- વિકાસ ઇન્ટરનેશનલ” દ્વારા ગ્રાઉન્ડ પેનિટ્રેટીંગ રડાર વડે ભૂમિનો આર્કિઓલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. 2003માં જીપીઆર સર્વેનો જે રિપોર્ટ, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે “ સ્થળ ઉપર 184 સ્થાન ઉપર, બાંધકામના પાયા, દિવાલ, ફ્લોરીંગ અને સ્તંભ હોવાની શક્યતાઓ રહેલી છે.” જેના અનુસંધાનમાં કોર્ટ દ્વારા આ સ્થળ ઉપર ખોદકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની જગ્યાનું ખોદકામ કર્યું હતું. પુરાતત્વવિદોએ બાબરી મસ્જિદ સ્થળે, મસ્જિદની રચના કરતાં પણ પ્રાચીન હોય તેવા બાંધકામ અને મોટી રચનાના સંકેતો પણ આપ્યા હતા. ખોદકામમાં 52 મુસ્લિમો સહિત 131 મજૂરોની ટીમ ખોદકામમાં રોકાયેલી હતી. 11 જૂન 2003ના રોજ એએસઆઈએ એક વચગાળાનો અહેવાલ બહાર પાડ્યો હતો. ઓગસ્ટ 2003માં એએસઆઈએ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને 574 પાનાનો અંતિમ અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. અહેવાલના આધારે જ રામજન્મ ભૂમિ કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. સ્થળ સંકોચના કારણે તેનો સમાવેશ અહીં કર્યો નથી. રજૂ થયેલા રિપોર્ટ સામે વાંધો ઉઠાવી, વિજ્ઞાન જર્નલ “આર્કિયોલોજી”ના જુલાઈ ઓગસ્ટ 2004ના અંકમાં લેખ લખવામાં આવ્યો હતો. જેની લેખિકા ક્રિસ્ટિન એમ. રોમી હતી. આ વિવાદસ્પદ રજૂઆતના પડદા પાછળ કોનો દોરી સંચાર હશે? એ વાત ચાલાક વાચકો સમજી શકે છે.

Tuesday, 27 December 2022

 આચાર્ય કણાદ : પ્રાચીન અણુવાદના પ્રણેતા

19મી સદીની શરૂઆતમાં પરમાણુ સિદ્ધાંતનો વિકાસ કરવાનોએક અંગ્રેજી રસાયણશાસ્ત્રી જોન ડાલ્ટનના ફાળે જાય છે. ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે જોન ડાલ્ટનથી અઢી હજાર વર્ષ પહેલા, પરમાણુ / અણુ સિદ્ધાંત   ભારતીય ઋષિ અને ફિલસૂફ આચાર્ય કણાદ દ્વારા આપવામાં આવ્યો હતો. આચાર્ય કણાદ દ્વારા  પદાર્થના અતિસુક્ષ્મ સ્વરૂપ જેવા કણને  “ અણુ” તરીકે ઓળખાવે છે.  જ્યારે પરમાણુ શબ્દ બ્રહ્મસંહિતાનાં પાંચમા પ્રકરણમાં  ઉલ્લેખ થયેલ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો “ આધુનિક વિજ્ઞાનનો પરમાણુ અને  આચાર્ય કણાદનો અણુ એકબીજાના પર્યાય તરીકે વપરાયેલા  હોય તેવું માની શકાય.પાંચમી કે ચોથી સદીની આસપાસ થઈ ગયેલા ભારતીય  ફિલોસોફર પાકુધા કાત્યાયન પણ ભૌતિક વિશ્વના પરમાણુ બંધારણ વિશે પોતાના વિચારો રજુ કર્યા હતા. પાકુધા કાત્યાયન ભગવાન બુદ્ધના સમકાલીન માનવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 5મી અને ત્રીજી સદીની વચ્ચે, ભગવદગીતામાં અણુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (અધ્યાય 8, શ્લોક 9)

ગુજરાતના સોમનાથ પાસે આવેલ પ્રભાસ ક્ષેત્રમાં ઈસવીસન પૂર્વે 600માં, આચાર્ય કણાદનો જન્મ થયો હતો. તેઓ તત્વજ્ઞાની ઉલ્કાના પુત્ર હતા. તેથી કેટલાક તેમને ઉલુક તરીકે પણ ઓળખે છે. તેમનું સાચું નામ મુની કશ્યપ હતું. (આ બાબતે મને શંકા છે.)  કહી શકાય કે તેઓ કશ્યપ ગોત્રના  સંતાન હતા. કેટલાક તેમને કણભુક તરીકે પણ ઓળખે છે. 1992માં પ્રકાશિત થયેલ કેશવ મિશ્ર રચિત તર્કભાષાના  ગુજરાતી અનુવાદમાં સંપાદક નોંધે છેકે “ ખેતરમાં નીચે પડેલા દાણા /કણ વીણીને તેઓ આહાર કરતા હોવાથી તેમને  કણાદ અથવા કણભુક  કહેવામાં આવે છે.  તેમના પરમાણુ વાદના આધારે તેમને કણનું અદન કરનાર એટલે “કણાદ” એમ પણ માનવામાં આવે છે. મહર્ષિ કણાદ એક પૌરાણિક વ્યક્તિ બની ગયા છે. તેથી તેમના જીવન અને સમયે વિશે હજુ પણ ચોક્કસ માહિતી મળતી નથી.વાયુપુરાણ શ્લોકના આધારે તેમને ગૌતમ બુદ્ધના સમકાલીન પણ માનવામાં આવે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર પણ તેનો ઉલ્લેખ કરે છે. તેથી તેમની નજરમાં પણ તેઓ મુનિ છે. એટલે કે તેઓ  ઠીક ઠીક વાત્સાયનની પૂર્વે થઇ ગયા હશે. એનાથી વિશેષ કંઇ કહી શકાય તેમ નથી.”

વાયુપુરાણના પૂર્વ ખંડમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા,  તેવો ઉલ્લેખ આવે છે.  કણાદ મુનિ આ મહાત્માના શિષ્ય હતા. તેમના માટે ઉલુક નામ પણ વપરાય છે. મહાભારતમાં ભીષ્મના મૃત્યુનુ અવસર ઉપર ઉલુક મુનિના આગમનનો ઉલ્લેખ કરેલ છે. અન્ય સ્થાનો ઉપર વિશ્વામિત્રના પુત્ર અથવા વંશજોમાં પણ ઉલુકનો  ઉલ્લેખ થયેલો છે.  વત્સ દેશમાં ઉલુક  ઋષિના આશ્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભીષ્મપિતા દ્વારા જ્યારે કન્યા અંબાનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમને થોડા સમય માટે ઉલુક ઋષિના આશ્રમમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત શકુનીના પુત્રનું નામ ઉલુક હોવાનો ઉલ્લેખ છે. જે એકવાર દુર્યોધનનો દૂત બનીને પાંડવ શિબિરમાં ગયો હતો. આ બધા નામ અને ઉલ્લેખને આચાર્ય ઘણા સાથે કેટલો સંબંધ છે તે કહી શકાતું નથી. 

કહેવાય છે કે એકવાર ઉલુક તેમના પિતા સાથે પ્રયાગની થયા તીર્થયાત્રા ઉપર હતા. રસ્તામાં યાત્રાળુઓએ  મંદિરમાં અર્પણ કરેલ ફૂલો અને ચોખાના દાણાથી શેરીઓમાં ગંદકી કરી હતી.  ઉલુક ચોખાના નાના નાના કણોથી મોહિત થઇ ગયા હતા. તેઓએ જમીન પર પથરાયેલા ચોખાના દાણા એકઠા કરવા લાગ્યા. આ રીતે  અજાણ્યા મનુષ્યને રસ્તામાંથી અનાજ ભેગો કરતા જોવા માટે  ભીડ એકઠી થઇ ગઇ. લોકોએ તેને પૂછ્યું “ જે અનાજ અને ભિખારી પણ હાથ ન લગાડે દેવાના જ તેઓ શા માટે એકઠા કરી રહ્યા છે?  તેણે કહ્યું કે “ ચોખાના એક એક અલગ દાણો તમને  નકામો લાગશે, પરંતુ તેને સંગ્રહ કરવામાં આવે તો, તેના વડે એક વ્યક્તિનું ભોજન થઈ શકે. દરરોજ રસ્તામાં રીતે  ફેંકવામાં આવતા અનાજનો સંગ્રહ કરવામાં આવે તો સમગ્ર પરિવારનું ભોજન તેમાંથી નીકળી શકે.  કારણ કે આખરે સમગ્ર માનવજાત ઘણા પરિવારોથી બનેલી છે. આ રીતે ઉલુકએ સમજાવ્યું કે “ચોખાનું એક દાણો પણ વિશ્વની તમામ મૂલ્યવાન સંપત્તિ જેટલો જ મહત્વપૂર્ણ છે.” 


આ ઘટના બાદ લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા કારણકે સંસ્કૃત ભાષામાં દ્રવ્યના સૌથી નાના ભાગને “કણ” તરીકે ઓળખવામાં આવે છે. આમ  નાના-નાના કણ એકઠા કરનાર વ્યક્તિ તરીકે લોકો તેમને કણાદ તરીકે ઓળખવા લાગ્યા. ચોખાના એક કણથી, ઉલુકની કલ્પનાને છુટ્ટો દોર મળ્યો. તેમણે અદ્રશ્ય વિશ્વ પ્રત્યેના પોતાના આકર્ષણને આગળ ધપાવવા માટે, પદાર્થના નાનામાં નાના એકમ તરીકે “કણ”ને પ્રસ્થાપિત કર્યો અને  આગળ જતાં પોતાના વિચારો લખવાનું શરૂ કર્યું. પોતાની પાસેનું જ્ઞાન બીજાને શીખવવાનું શરૂ કર્યું. લોકો હવે તેમને આચાર્ય કણાદ તરીકે ઓળખવા લાગ્યા. આચાર્યનો અર્થ થાય શિક્ષક. તેમના નામનો અર્થ થતો હતો નાના નાના કણોનો શિક્ષક. 

એક વાર કણાદ ચોખાનું  બનેલ  ભોજન લઇને ચાલતા હતા, ત્યારે તેમણે ખોરાકદાણાનું  વિભાજન કરવા લાગ્યા. છેવટે એક સૂક્ષ્મ કણો વધ્યો, જેનું વિભાજન કરવું શક્ય નહોતું. આ ક્ષણથી આચાર્ય કણાદે, એવા કણની કલ્પના કરી, જેને વધુ વિભાજિત કરી શકાય તેમ ન હતો. આ અવિભાજ્ય પદાર્થને તેઓ અણુ તરીકે સંબોધવા લાગ્યા.  જોકે આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં પરમાણુ અને અણુ બંનેની વ્યાખ્યા અલગ અલગ છે. આચાર્ય કણાદે પ્રસ્તાવ મૂક્યો હતો કે “ પદાર્થનો અતિસુક્ષ્મ હિસ્સો જેને અણુ તરીકે ઓળખવામાં આવે છે, તેને મનુષ્ય કોઈપણ માનવઅંગ દ્વારા અનુભવી શકતો નથી. એટલું જ નહીં તેને નરી આંખે નિહાળી શકતો પણ નથી.પદાર્થની સ્વાભાવિક લાક્ષણિકતાથી  પરમાણુ એકબીજા સાથે જોડાય છે. જ્યારે  બે પરમાણુ  જોડાય છે  ત્યારે દ્વિનુકા બને છે. તેમની પાસે  જોડાયેલા પિતૃઅણું જેવી જ  લાક્ષણિકતાઓ હોય છે. 

આ ફિલસૂફીના અનુયાયીઓ આગળ એવું માનતા હતા કે સમાન પદાર્થના અણુઓ એકબીજા સાથે જોડાઈને દ્વ્યાનુકા (દ્વિ-પરમાણુ પરમાણુઓ) અને ત્રીનુકા (ત્રિ-પરમાણુ પરમાણુ) ઉત્પન્ન કરે છે. આચાર્ય કણાદે સમજાવ્યું કે પૃથ્વી પર વિદ્યામાન અલગ-અલગ પદાર્થ, અલગ અલગ પ્રકારના અણુઓના સંયોજન દ્વારા બન્યો છે.  તેમણે એ વાત પણ સમજાવી કે ગરમી એટલે કે ઉષ્માની હાજરીમાં, પદાર્થમાં રાસાયણિક ફેરફાર કરી શકાય છે. ગરમીને  ઉપયોગમાં લઈને વિવિધ અણુઓને જોડી શકાય છે. આ ઘટના માટે ઉદાહરણ તરીકે તેમણે માટીના વાસણને પકાવવામાં આવે ત્યારે કાળા પડી જાય છે, અને ફળ પાકે છે ત્યારે તેનો રંગ બદલાય છે. તેના ઉદાહરણ આપ્યા હતા. આચાર્ય કણાદે 'જીવન'ને ​​અણુઓ અને પરમાણુઓના સંગઠિત સ્વરૂપ તરીકે અને 'મૃત્યુ'ને તે અણુઓ અને અણુઓના અસંગઠિત સ્વરૂપ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું.

આચાર્ય કણાદે પોતાના જ્ઞાન અને દર્શન શિષ્યોને આપવા માટે એક નવી શાખાની સ્થાપના કરી હતી. જેને  વૈશેષિક શાળા કહે છે.  વૈશેષિકદર્શનમાં  તેમણે અણુ અને બ્રહ્માંડની પ્રકૃતિ વિશે પોતાના ખ્યાલો રજૂ કર્યા છે.  તેમના સમય કાળમાં તેમણે પોતાના સંશોધનોને લાગતો ગ્રંથ લખ્યો હતો.જેનું નામ વૈશેષિક દર્શન હતું. મહર્ષિ કણાદ રચિત વૈશેષિકસૂત્રને  વૈશેષિક દર્શનના પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. 10 અધ્યાય વાળા ગ્રંથનું નિર્માણ 10 દિવસમાં થયું હોવાનું અનુમાન છે. એક દંતકથા પ્રમાણે  ભગવાન શિવે ઉલુકનું સ્વરૂપ લઈને તેમને વૈશેષિક દર્શનનું જ્ઞાન આપ્યું હતું. આ કારણસર તેમના દર્શનને “ઔલુક્ય દર્શન” પણ કહે છે. તેમના કાર્યને કારણે તેઓ અણુ સિદ્ધાંતના પિતા તરીકે જાણીતા બન્યા હતા. અણુ સિદ્ધાંતની ચર્ચા કરતી વખતે, તેમણે બ્રહ્માંડને સાત શ્રેણી વડે વ્યાખ્યાયિત કર્યું હતું. તેમના મત પ્રમાણે બ્રહ્માંડની વ્યાખ્યામાં, નીચેની ૭ શ્રેણી/ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હતા. 


  1. દ્રવ્ય (matter)

  2.  ગુણ (quality)

  3.  કર્મ (action)

  4.  સામાન્ય (Generic species)

  5. વિશેષ ( Unique trait)

  6. સમન્વય (Combination) 

  7. અભાવ (Non-existence)

આચાર્ય કણાદે વધારે સ્પષ્ટતા કરવા માટે તેમણે  દ્રવ્યને નવ અલગ અલગ પ્રકારમાં વહેંચણી કરી હતી.  આધુનિક  વિચારધારા પ્રમાણે  તેમાં  પદાર્થની અવસ્થા ઉપરાંત, પદાર્થ સાથે સંકળાયેલ  ગુણધર્મનો સમાવેશ પણ કર્યો હતો. કણાદ દ્વારા દર્શાવવામાં આવેલ  દ્રવ્ય (matter)ને નવ અલગ અલગ પ્રકારની શ્રેણી/ વિભાગમાં વહેંચ્યા હતા. 

  1. પૃથ્વી ( ઘન પદાર્થ)

  2.  જળ ( પ્રવાહી પદાર્થ)

  3.  વાયુ ( વાયુ પદાર્થ)

  4.  તેજ ( પ્રકાશ- Light) (આજે આપણે જોઇએ છીએ કે બ્રહ્માંડ ની શરૂઆતમાં અલગ-અલગ પ્રકારના  સાહેબ તમે પાર્ટિકલ્સ ભેગા થાય છે ત્યારે,  પ્રથમવાર પ્રકાશ નું સર્જન થાય છે. )

  5.  આકાશ (ઈથર)

  6.  દિક (  દિશા / અવકાશ પરિમાણ)

  7.  કળા ( સમય ) ( આધુનિક વિજ્ઞાનમાં આઈન્સ્ટાઈનને બ્રહ્માંડના ચોથા પરિમાણ તરીકે સ્પેસ ટાઈમનો કન્સેપ્ટ આપ્યો છે. તેને આચાર્ય કણાદે અલગ અલગ સ્વરૂપે, એટલે કે  દિક અને કળા તરીકે ઓળખાવ્યા છે.

ઉપરોક્ત  ૭ શ્રેણીને  મનુષ્ય પોતાની ઇન્દ્રિય દ્વારા જાણી શકે છે.  મનુષ્ય બ્રહ્માંડની જે અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા સમજી શકતો નથી, તેવી લાક્ષણિકતાને આચાર્ય કણાદે  આઠ અને નવમા સ્વરૂપે  દર્શાવેલ છે. 

  1.  મનસ (મન/mind)

  2. આત્મા (soul) 

આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતીય સિદ્ધાંતોને  સાબિત કરવા માટે તે સમયે પ્રયોગમુલક આધાર લેવામાં આવતો ન હતો. તે જ કારણસર આચાર્ય કણાદના પરમાણુ સિદ્ધાંતમાં પ્રયોગમુલક આધારનો અભાવ છે.  આ એક માત્ર કારણસર તેમના સિદ્ધાંતોને અવગણી શકાય નહીં. અનુભવી ઓસ્ટ્રેલિયન ઇન્ડોલોજીસ્ટ એ.એલ. બાશમના શબ્દોના શબ્દોમાં કહીએ તો, “ આચાર્ય કણાદે વિશ્વનની ભૌતિક રચનાને સમજાવવા માટે, ખૂબ જ તેજસ્વી બૌદ્ધિક કલ્પનાશીલતા સાથેની સમજૂતી રજૂ કરી હતી. જે મોટા પ્રમાણમાં આધુનિક ભૌતિકશાસ્ત્રની શોધો સાથે સામ્યતા ધરાવે છે.”  વિજ્ઞાન લેખક દિલીપ એમ. સાલ્વીના જણાવ્યા મુજબ, "આચાર્ય કણાદના સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવે તો, જાણવા મળશે કે તેમનો અણુ સિદ્ધાંત ગ્રીક ફિલસૂફો, લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા રજુ કરવામાં આવેલ સિદ્ધાંતો કરતાં વધુ અદ્યતન આધુનિક હતો." પ્રખ્યાત ઈતિહાસકાર, ટી.એન. કોલબ્રુકે કહ્યું છેકે, "યુરોપના વૈજ્ઞાનિકોની સરખામણીમાં, આચાર્ય કણાદ અને અન્ય ભારતીય વૈજ્ઞાનિકો આ ક્ષેત્રના વૈશ્વિક માસ્ટર હતા.”

21 Lessons for the 21st Century નામના પુસ્તકના બારમા પ્રકરણ “humility / નમ્રતા”માં  લેખક યુવલ નોહ હરારી નોંધે છેકે “એરોપ્લેન અને ન્યુક્લિયર બોમ્બની શોધ ભારતીય ઉપખંડમાં  પ્રાચીન  ઋષિ દ્વારા કરવામાં આવી હતી. તમને ખબર છે મહર્ષિ ભારદ્વાજ દ્વારા રોકેટ અને એરોપ્લેનની શોધ થઈ હતી. મહર્ષિ વિશ્વામિત્રે મિસાઈલની શોધ કરી હતી, એટલું જ નહીં તેનો ઉપયોગ પણ કર્યો હતો.આચાર્ય કણાદ  ફાધર ઓફ એટમિક થિયરી તરીકે જાણીતા હતા. અને … મહાભારતમાં પરમાણુ શસ્ત્રોનું વર્ણન છે?” 

માઈન્ડ  એન્ડ  મેટર પુસ્તકની પ્રસ્તાવનામાં સુભાસ કાક, આચાર્ય કણાદના વૈશેષિક દર્શન વિશે નોંધે છેકે “  ન્યાય અને વૈશેષિક દર્શનમાં માનવીનું મન ખાલી સ્લેટ જેવું નથી. મનનું બંધારણ જ, વિશ્વની પ્રકૃતિનું થોડું જ્ઞાન પ્રદાન કરે છે. જેમાં પ્રત્યક્ષ અનુમાન, અનુમાન, સામ્યતા અને મૌખિક જુબાની જેવા ચાર પ્રમાણ દ્વારા સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.  વૈશેષિક દર્શનના મારા અધ્યયનમાં મને ખાતરી થઈ ગઈ છેકે, “આઇઝેક ન્યૂટન કરતા સૌથી પહેલા મહાન નેચરલ ફિલોસોફર આચાર્ય કણાદ હતા. તેમણે જે વિચાર્યું છે, તેમાં  ઊંડાઈ સિવાય બીજું કાંઈ જ નથી. ભૌતિક નિયમોમાં તેઓ સમપ્રમાણતા એટલે કે સિમેટ્રીનો આશરો લે છે. તેઓ કાર્યકારણને સ્પષ્ટ કરે છે. જેમાં તેમની અપેક્ષા ન્યૂટનની ગતિના નિયમો જેવી જ છે. તેમણે એવી એક અસાધારણ ઔપચારિક સિસ્ટમ બનાવી છે, જેમાં અવકાશ સમય, દ્રવ્ય અને નિરીક્ષણોનો સમાવેશ થાય છે. વ્યક્તિલક્ષી અનુભવ એટલે કે ગુણવત્તા કેવી રીતે ઉત્પન્ન થાય છે? તે સમજાવે છે. દુર્ભાગ્યે વૈશેષિક-સૂત્રનો કોઈ વૈજ્ઞાનીક અભ્યાસ થયો નથી, જેના આધારે ભૌતિકશાસ્ત્રની સામગ્રીનું અન્વેષણ થઈ શકે. વૈશેષિક-દર્શન ઉપરનું છેલ્લું ભાસ્ય 15મી સદીમાં  શંકર મિશ્રા દ્વારા લખવામાં આવ્યું હતું. ૧૯૧૫માં બ્રજેન્દ્રનાથ સીલ કે જેમણે ભારતીય ભૌતિકશાસ્ત્રનો સામાન્ય સારાંશ લખ્યો હતો, તેમણે શંકર મિશ્રાને વ્યાપકપણે ટાંક્યા હતા. તાજેતરના વૈશેષિક અભ્યાસોએ ભૌતિકશાસ્ત્રીઓને બદલે ફિલસૂફોના રસના મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.” (જેના કારણે નિષ્ણાતો ગ્રંથને મેટાફિઝિકલ માને છે.) “

પશ્ચિમ જગતમાં, ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક તત્વચિંતક લ્યુસિપસ અને ડેમોક્રિટસ દ્વારા અણુવાદનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તેમણે આપેલ  અણુવાદ ઉપર ભારતીય સભ્યતાની અસર હતી? કે તેમણે સ્વતંત્ર રીતે અણુવાદ રજૂ કર્યો હતો? એ આજની તારીખે વિવાદનો મુદ્દો છે. 


Saturday, 17 December 2022

“અગસ્ત્ય સંહિતા”માં વિદ્યુત પેદા કરતી “બેટરી”નું વર્ણન આપેલ છે.!

 પશ્ચિમના વૈજ્ઞાનિકો કરતાં પહેલાં જ, 

            ભારતીય ઋષિ વિદ્યુત ઉત્પાદનનું  રહસ્ય જાણતા હતા?


થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર, ભેળસેળિયા સમાચાર વાંચવા મળ્યા. જેનો કેન્દ્રસાર હતો કે “પ્રાચીનકાળમાં  અગત્સ્ય ઋષિ દ્વારા  વિદ્યુત ઉર્જા પેદા કરવા, એટલે કે હાલમાં આપણે જે  બેટરી અથવા સેલ  વાપરીએ છીએ.તેને લગતી માહિતી / ફોર્મ્યુલા  તેમણે “અગસ્ત્ય સંહિતા”માં આપેલ છે. આ વાતને સમર્થન આપતી હોય તેવી એક ઓથેન્ટિક વીડિયો “કાશ્મીર ફાઈલ”ના ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની યુટ્યુબ ચેનલ “આઈ  એમ  બુદ્ધ” ઉપર જોવા મળી છે. ચેનલનાં “ભારત કી બાત”ના  છઠ્ઠા એપિસોડમાં વિદ્યુત અને ઇલેક્ટ્રિક પાવર  જનરેશનની વાત કરવામાં આવી છે. જેમાં ઋષિ અગસ્ત્ય અને “અગસ્ત્ય સંહિતા”માં આપેલ વિદ્યુતકોષનું  વર્ણન થતું હોય તેવો  શ્લોક પણ દર્શાવાયો છે. ઘણા લોકોને આશ્ચર્ય થયું કે “શું ખરેખર અગત્સ્ય સંહિતામાં વિદ્યુત શક્તિને લખતો સિદ્ધાંત છે ખરો?. જો  હોય તો તે ખરેખર કામ કરે છે?  અગત્સ્ય સંહિતામાં આપેલ વીજળીને લગતા શ્લોક અને સિદ્ધાંત ખોટો છે? એવું સાબિત કરવા માટે,ફક્ત ભારતમાં જ નહીં,અમેરિકામાં વસતા કહેવાતો બૌદ્ધિકો પણ કામે લાગી ગયા હતા? આ પ્રશ્નનો ઉકેલ મેળવતા જે માહિતી  મળી, તે માત્ર સામાન્ય માણસની નહિ, અર્બન નક્શલોની પણ આંખ ખોલી દે તેમ છે. અર્બન નક્શલોને હિન્દુસ્તાન કે પ્રાચીન શાસ્ત્રો ઉપર વિશ્વાસ નથી, તેઓ ગમે તે રીતે ઋષિ અગસ્ત્યે આપેલ વિદ્યુતને લગતો શ્લોક કે સિદ્ધાંત ખોટો પાડી શકે છે!  અગત્સ્ય સંહિતાનાં વીજળીને લગતા શ્લોકમાં ખરેખર શું છે? ચાલો તેની ભીતરમાં ઉતરીને સ્પષ્ટ જવાબ મેળવવાની કોશિશ કરીએ.


“અગસ્ત્ય સંહિતા”ની “બેટરી”નું વર્ણન

संस्थाप्य मृण्मये पात्रे

ताम्रपत्रं सुसंस्कृतम्‌।

छादयेच्छिखिग्रीवेन

चार्दाभि: काष्ठापांसुभि:॥

दस्तालोष्टो निधात्वय: 

पारदाच्छादितस्तत:।

संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्‌॥ 

-अगस्त्य संहिता

આજે દરેક ઇલેક્ટ્રોનિક્સ  ઉપકરણમાં વપરાતી બેટરીનું પ્રાચીન રૂપ, અગસ્ત્ય મુનિએ તેમના શ્લોકમાં આપેલું છે.  શ્લોકનો અનુવાદ આ પ્રમાણે થાય. એક માટીનું વાસણ લો, તેમાં તાંબાનીપટ્ટી ગોઠવો. તેમાં કોપર સલ્ફેટ નાખો, પછી વચમાં કરવત વડે લાકડું કાપતી વખતે પેદા થયેલ ભુક્કો ભીનો કરી  ગોઠવો, ઉપર પારો અને ઝીંક મૂકી દો, (પછી બે છેડા ઉપર )વાયરો ભેળવીશું તો મિત્રવરુણશક્તિ(વિદ્યુત શક્તિ)નો ઉદય થશે. આ શ્લોક અને  તેમાં દર્શાવેલ માહિતીની ચર્ચાની શરૂઆત 2015માં થઈ હતી. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા, ફરીવાર આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 

1938-૩૯માં  જર્મન આર્કિયોલોજીસ્ટ  વિલ્હેમ કોનીગને  બગદાદમાં ખોદકામ વખતે માટીના કુંજા આકારનાં કેટલાક પાત્ર મળ્યા. જેનો ઉપરનો ભાગ ડામરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. કેન્દ્રમાં તાંબાના નળાકારમાં  લોખંડનો સળીયો ગોઠવેલો હતો.  તેમણે પોતાની શોધ વિશે ઓસ્ટ્રેયાના “9 Jhre Irak”માં તેનું  વર્ણન આપ્યું. કોનીગે આ પાત્રોને પ્રાચીન બેબીલોનની બેટરી તરીકે ઓળખાવ્યુ. કેટલાક લોકો તેને \”બગદાદ બેટરી” તરીકે પણ ઓળખે છે. મજાની વાત એ છેકે “ બીજા વિશ્વયુદ્ધ પછી જનરલ ઇલેક્ટ્રિક કંપનીના વિલાર્ડ ગ્રે  નામના વૈજ્ઞાનિકે બગદાદ બેટરી જેવી જ રચના કરી. પરંતુ તેમાં વિદ્યુત પેદા થઈ નહીં.  તેને લાગ્યું કે પાત્રમાંથી  કોઈ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ  બાષ્પીભવન પામી ચૂકયું છે એટલે તેમાં  કોપર સલ્ફેટ ઉમેર્યું.  અને.. જાણે ચમત્કાર થયો. આ બેટરી વિદ્યુત પેદા કરતી હતી.વિલાર્ડ ગ્રેએ જાહેર કર્યું કે “બેબીલોન દ્વારા શોધવામાં આવેલી બેટરી,  ખરેખર કામ કરતી હતી. જેનો મતલબએ થયો કે “બેબીલોન વાસીઓ વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા.”હવે જ્યારે વિલાર્ડ ગ્રે નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલ બેટરીની રચના જોઈએ છે ત્યારે, આપણને સમજાય છેકે “અગસ્ત્ય ઋષિએ શ્લોકમાં જે પ્રકારની રચના વર્ણવી હતી, લગભગ તેવી જ રચના  બગદાદ કે બેબીલોન બેટરીમાં જોવા મળે છે. સવાલ એ થાય કે “ભારતીય પ્રાચીન  શાસ્ત્રોમાં દર્શાવેલ,  અગસ્ત્ય મુનિનો શ્લોક બગદાદ સુધી કઈ રીતે પહોંચ્યો? 


વી આર નોટ  ધ  ફર્સ્ટ - “રાઈડલ્સ ઓફ એન્સીયંટ સાયન્સ”

લેખક એન્દ્રું થોમસ આ સવાલનો આપે છે. આ ઘટનાનો ઉલ્લેખ, લંડનની સ્પીઅર બુક્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત,એન્દ્રું થોમસનાં પુસ્તક “વી આર નોટ  ધ  ફર્સ્ટ - રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં જોવા મળે છે. લેખક પુસ્તકના પ્રકરણ-13માં ( પુષ્ઠ ૧૨૩) નોંધે છેકે “ તેમના ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનના રાજકુમારની લાઇબ્રેરીમાં અગત્સ્ય સંહિતાના કેટલાક દસ્તાવેજો તેમનાં દયાનમાં આવ્યા હત. જેમાં વિદ્યુત બેટરી કઈ રીતે બનાવવી તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાદ રહે આ ઉલ્લેખ અગત્સ્ય ઋષિએ આપેલ સંસ્કૃત શ્લોક મુજબનો છે. લેખક લખે છેકે મિત્ર-વરુણ એટલે  વિદ્યુતમાં આવતા બે ધ્રુવ  કેથોડ એનોડ છે.  આ લખાણ  બગદાદમાં આર્કિયોલોજિસ્ટ કોનીગને મળેલ, કોનીગ બેટરી કરતાં પણ વધારે પ્રાચીન છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય કે “ભારતની અગત્ય સંહિતાનુ જ્ઞાન સુમેર બેબીલોન અને ઇજીપ્ત સુધી પહોંચ્યું હતું.” આજના કહેવાતા બૌદ્ધિકો સવાલ કરે છેકે “અગસ્ત્ય ઋષિ દ્વારા  પ્રકાશિત અગત્ય સંહિતામાં આ શ્લોક તો છે જ નહીં?  આનો શું જવાબ  આપીશું?”લો આગળ વાંચો. 

 

આપણે રામાયણમાં  પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોયો છે. રાવણ સીતાને ઉઠાવીને હવાઈમાર્ગે  લંકા પહોંચે હતો.સીતાને તે જે રથ/વાહનમાં ઉઠાવે છે. તેને આપણે વિમાન કહીશું કે આકાશયાન? ૧૯૨૦ની આસપાસ  એક મહારાષ્ટ્રિયન સંસ્કૃત વિદ્વાન પરશુરામ  હરી થત્તે, પ્રાચીન સાહિત્યમાં  દર્શાવેલ  વિમાન ઉપર “આકાશયાન” નામનું પુસ્તક લખી રહ્યા હતા. આ સમયે તેમને કેટલાક સવાલ થયા? તેઓ આકાશયાનની બાહ્ય રચનાનું  જ્ઞાન  પ્રાચીન ગ્રંથોમાંથી મેળવી શક્યા પરંતુ, તેની આંતરીક રચના કેવી હતી તે બાબતે તેમને કેટલાક સવાલ ઉઠતા હતા. આવાં સમયે વિદ્વાન રાવ સાહેબ કૃષ્ણજી વાજે તેમની મદદે આવ્યા. કૃષ્ણજી વાજે  પાસે સંસ્કૃતમાં  ટેકનીકલ માહિતી આપતા હોય તેવા પુસ્તકોનો સંગ્રહ હતો. 


શિખિગ્રીવ એટલે મોરની ગરદન?

રાવ સાહેબ કૃષ્ણજી વાજેએ 1891માં પૂનામાંથી એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી હતી. ભારતમાં વૈજ્ઞાનિક ગ્રંથો શોધતી વખતે તેમને ઉજ્જૈનમાં શ્રી એન.વી. ગાડગીલ,કહારવોડી દ્વારા કેટલાક દસ્તાવેજો મળ્યા. જે  અગસ્ત્ય સંહિતા સાથે સંકળાયેલા હતા. આ નકલ  ઉજ્જૈનના જગન્નાથ મંદિરના દામોદર ત્ર્યંબક જોશી પાસેથી મળી હતી. જેનો સમાવેશ “અગત્સ્ય સંહિતા”માં  થયો ન હતો. આ દસ્તાવેજો 1550ની આસપાસના હતા. દસ્તાવેજોમાં દર્શાવેલ વર્ણન વાંચીને, નાગપુરમાં સંસ્કૃત વિભાગના વડા એવા ડૉ.એમ.સી. સહસ્રબુદ્ધેને સમજાયું કે “આ વર્ણન ડેનિયલના કોષ (વિદ્યુત બેટરી) જેવું જ છે. તેથી, તેમણે નાગપુરમાં એન્જિનિયરિંગના પ્રોફેસર શ્રી પી.પી. હોલેને દસ્તાવેજોની માહિતી અનેમાં આપેલી રચના તપાસવા કહ્યું. જેમાં અગસ્ત્યનું સૂત્ર નીચે મુજબ હતું- “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥ હતું.“

શ્લોક વર્ણનના આધારે, શ્રી હોલ અને તેમના મિત્રએ બેટરી બનાવવાની તૈયારીઓ શરૂ કરી. શ્લોકમાં દર્શાવેલ બધી જ સામગ્રી તેમની સમાજમાં આવી, પરંતુ શિખિગ્રીવનો  સાચો અર્થ સમજી શક્યા નહીં. તેમણે સંસ્કૃતિના પારંપરિક અર્થ પ્રમાણે તેનો અર્થ “શિખિગ્રીવ એટલે મોરની ગરદન” કર્યો. મોરની ગરદન મેળવવા માટે તેઓ નજીકના પ્રાણીસંગ્રહાલયમાં ગયા. ત્યાંના પ્રમુખને પૂછ્યું કે, “તમારા પ્રાણી સંગ્રહાલયમાં મોર ક્યારે મરી જશે? આ વાત સાંભળીને  પ્રમુખ  ગુસ્સે થયા અને કહ્યું કેમ? પછી શ્રી હોલે કહ્યું “એક પ્રયોગ માટે મોરની ગરદનની જરૂર છે.” આ સાંભળીને તેણે કહ્યું, ઠીક છે. તમે મને એક અરજી આપો. હું વ્યવસ્થા કરીશ.” 

થોડા દિવસો પછી આ વિષય ઉપર પી.પી. હોલે એક આયુર્વેદાચાર્ય સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે તેમણે આયુર્વેદાચાર્યને આખી ઘટના સંભળાવી ત્યારે તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અહીં શિખિગ્રીવનો અર્થ મોરની ગરદન નથી, પરંતુ તેના ગળાનાં રંગ જેવા કોપર સલ્ફેટનો ઉલ્લેખ છે. આ માહિતી મળતાની સાથે જ સમસ્યાનું નિરાકરણ થઇ ગયું. તેના આધારે એક બેટરી સેલ બનાવવામાં આવ્યો. જે  ખરેખર વિદ્યુત પેદા કરતો હતો. આ પ્રકારની બેટરીનું પ્રદર્શન 7 ઓગસ્ટ, 1990 ના રોજ સ્વદેશી વિજ્ઞાન સંશોધન સંસ્થા (નાગપુર)ની ચોથી વાર્ષિક સામાન્ય સભામાં અન્ય વિદ્વાનોની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડિજિટલ મલ્ટિમીટર દ્વારા વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો, ત્યારે ઓપન સર્કિટનું  વીજ દબાણ (વોલ્ટેજ) 1.38 વોલ્ટ હતું,  અને  સર્કિટ કરંટ (વિદ્યુત પ્રવાહ) 23 mA હતો.

“આકાશયાન: પરશુરામ હરી થત્તે”

અગત્સ્ય ઋષિ કોણ હતા?  અગસ્ત્ય સંહિતા શું છે?.  તેની માહિતી તમને સ્ત્રોત દ્વારા પણ મળી શકશે.  અહીં અગસ્ત્ય ઋષિએ આપેલ  સંસ્કૃત શ્લોકઅને શ્લોકનો અનુવાદ  પુસ્તકોમાં કઈ રીતે પહોંચ્યો તેની પણ વાત કરવી છે.  “આકાશયાન” પુસ્તકની માહિતી આપતો, એક સંશોધન લેખ મરાઠી વિદ્વાન શ્રી પરશુરામ હરી થત્તેએ સૌપ્રથમ “વેદિક સામયિક અને ગુરુકુલ સમાચાર”, લાહોર, ભાગ. XXI, નં.7, ડિસેમ્બર 1923માં પ્રકાશિત કર્યો. તે લેખ ફરીવાર એપ્રિલ 1955  સાપ્તાહિક શિલ્પા-સંસાર, ભાગ.1 અંક 16માં  પુન: પ્રકાશિત થયો. જેની નકલ  જર્મની,  અમેરિકા  અને કેટલાક અન્ય દેશોની લાઇબ્રેરીમાં જોવા મળે છે.  પરંતુ ત્યાં માત્ર કોલેજ યુનિવર્સિટી કે અન્ય નામાંકિત વિદ્વાનો જ પહોંચી શકે છે. પરશુરામ હરી થત્તેનાં લેખમાં માત્ર વિમાનની રચના જ નહીં,  વીજ ઉત્પાદન માટે અગત્સ્ય ઋષિએ આપેલ “संस्थाप्य मृण्मये पात्रे….मित्रावरुणसंज्ञितम्‌॥” શ્લોકનો વિધિવતનો પ્રથમવાર ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં  ધાતુ પર બીજી ધાતુનો ઢોળ કઈ રીતે ચઢાવવો?  તે બાબતનો  ઇલેક્ટ્રોપ્લેટિંગને લગતો શ્લોક પણ છે. વિમાન માટે દોરડાની રચના કઈ રીતે કરવી તેને લગતો શ્લોક પણ છે.આ બધી માહિતી  પ્રાચીન વીમાનને લગતા પુસ્તક “આકાશયાન”માં આપેલી છે.નસીબની બલિહારી કે “પરશુરામ હરી થત્તેનું ““આકાશયાન” પુસ્તકનું પ્રકાશન થઈ શક્યું નહીં.” તેમના અન્ય અપ્રકાશિત પુસ્તકો સાથે અહીં દર્શાવેલ અપ્રકાશિત હસ્તપ્રત હવે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ  ઇન્સ્ટિટયૂટ પુના દ્વારા સાચવેલ છે.


ત્યાર બાદ એન્દ્રું થોમસનાં  પુસ્તક “ વી આર નોટ  ધ  ફર્સ્ટ -   રાઈડલ્સ ઓફ અન્સીયંટ સાયન્સ” (૧૯૭૧)માં  અગત્સ્ય સંહિતા અને  વિદ્યુત બેટરીનું  આલેખન  થયેલું જોવા મળે છે.  આ પુસ્તકનો રેફરન્સ લઈને,  બીજું એક પુસ્તક ૨૦૦૦માં પ્રકાશિત થાય છે. “ જેનું નામ છે: “ટેકનોલોજી ઓફ ગોડ”. જેના લેખક છે. ડેવિડ હેચર ચાઈલ્ડ્રેસ. પ્રકરણ-૪ “એન્સિયન્ટ  ઈલેક્ટ્રીક સીટી એન્ડ સક્રેડ ફાયર”માં “વી આર નોટ  ધ  ફર્સ્ટ”નો સંદર્ભ આપેલ છે. ઉપરાંત જુલાઈ ૧૯૬૪માં  પોપ્યુલર ઇલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયેલ લેખની માહિતી પણ છે. વિદ્યુત બેટરી 2000 વર્ષ પ્રાચીન છે, તેવો લેખ એપ્રિલ 1957ના સાયન્સ ડાઈજેસ્ટ પ્રકાશિત થયો હતો. તેનો ઉલ્લેખ પણ છે. કોઈ ભારતીય વિદ્વાને આ વિવાદમાં ઊંડા ઉતારવાનું પસંદ ન કર્યું, માત્ર સવાલ જ કર્યો કે “અગસ્ત્ય સંહિતા”માં આ શ્લોક છે જ નહીં? જો હોય તો પ્રકરણ ક્રમાંક અને શ્લોકનો ક્રમાંક જણાવશો.” બસ એટલુજ લખ્યુ. 


  અગત્સ્ય ઋષિએ  આપેલ  ડ્રાય સેલ  એટલે કે  વિદ્યુત બેટરીને  લખતા મારા લેખના પ્રકાશન બાદ કેટલાક વધારે સંદર્ભ મળી આવતા, ફરીવાર તેના ઉપર પ્રકાશ ફેકવાની ઈચ્છા રોકી શકાતી નથી. 


  આઠમી ઓગસ્ટ  1927નો લાઇબ્રેરીમાં રીસીવનો સિક્કો લાગેલ, ધ મિનેસોટા એલ્યુમની વીકલી  ઉપલબ્ધ થયું છે. જેમાં એક લેખ નું પ્રકાશન થયું હતું. (The Minnesota Alumni Weekly, Vol. No. 27, Number-3 , August-1927) જેના શીર્ષકમાં નીચેના શબ્દો હતા. 


First non-Stop Flight Made 2000 Years B. C. 

Revelations of Ancient manuscript, Discovered by Alumnus, Prove that Ancient Hindus Knew How to Fly, Knew that Hydrogen was Lighter than Air and Knew How to Make Dry Batteries.



પ્રથમ નોન-સ્ટોપ (ફ્લાઇટ)  પ્રાચીન હવાઇ ઉડ્ડયન ઈસવીસન પૂર્વે (બી.સી.) 2000 વર્ષ  પહેલા થયું હતું.


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શોધાયેલ પ્રાચીન હસ્તપ્રતમાં થયેલ ઘટસ્ફોટ, જે સાબિત કરે છેકે પ્રાચીન હિંદુઓ કેવી રીતે ઉડવું (હવાઇ ઉડ્ડયન કરવું) તે જાણતા હતા.તેઓ જાણતા હતા કે હાઇડ્રોજન વાયુ, હવા કરતા પણ હળવો છે. એટલુજ નહિ ડ્રાય બેટરી કેવી રીતે બનાવવી તે પણ તેઓ જાણતા હતા.


ઉપરોક્ત લેખના લેખક ડૉ. વામન આર. કોકટનુર છે. તેઓ ન્યુયોર્કમાં વસનાર ભારતીય મૂળની વ્યક્તિ અને વ્યવસાયે “કન્સલ્ટિંગ  કેમિસ્ટ” તરીકે કામ કરતા હતા પરંતુ તેમનો મુખ્ય શોખ “હાયરોગ્લિફિક્સ” હતો. Dictionary.com ઉપર હાયરોગ્લિફિક્સ  બે અર્થ આપવામાં આવ્યા છે. (1) પ્રાચીન ઇજિપ્તમાં વપરાયેલ લેખનનું એક સ્વરૂપ, જેમાં ચિત્રો અથવા પ્રતીકોનો ઉપયોગ વસ્તુઓ, વિભાવનાઓ અથવા અવાજોનું પ્રતિનિધિત્વ કરવા માટે  થયો છે.  બીજો અર્થ થાય  મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખન.  અહી  બીજો અર્થ પ્રયોગમાં લઈશું કારણકે  ડૉ. વામન આર. કોકટનુરને સંસ્કૃત ભાષામાં લખાયેલ મુશ્કેલ અથવા અસ્પષ્ટ લેખનનું  સાચુ અર્થઘટન કરવાનો શોખ હતો. જેમાં તેમના રસાયણ શાસ્ત્રનો અભ્યાસ અને રસાયણશાસ્ત્રના ઇતિહાસનું જ્ઞાન ઉપયોગી બને છે.  


ડૉ. કોકટનુર ભારતના વતની હતાં, તેઓ બોમ્બે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટી તેમજ મિનેસોટામાં ભણેલા હતાં. તેઓ રસાયણશાસ્ત્રમાં શેવલિન સભ્ય હતા, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિસ્ટના સભ્ય હતા, સિગ્મા XI અને અન્ય ઘણા વૈજ્ઞાનિક સમાજના સભ્ય હતા. હિરોગ્લિફિક્સના તેમના અભ્યાસ પર કામ કરતી વખતે, તેમને એક સંસ્કૃત પુસ્તક મળ્યું જેમાં એક જૂની પરંતુ જાણીતી હસ્તપ્રતના ચાર પાના હતા. જે 1550 માં લખવામાં આવ્યા હતા. આ પાનાં અગસ્ત્યના  એકત્રિત લખાણો ધરાવે છે. 1924 માં ઉજ્જૈન, ભારતના એક ભારતીય રાજકુમારની પુસ્તકાલયમાં વાઝે દ્વારા થોડા પૃષ્ઠો મળી આવ્યા હતા.રસાયણશાસ્ત્રી હોવાને કારણે, ડૉ. કોકટનુરે સ્વાભાવિક રીતે આ હસ્તપ્રતને ઉત્સુકતા સાથે મેળવી હતી, કારણ કે પૌરાણિક કથાઓમાં ઋષિ અગસ્ત્યને હાઇડ્રોજન અને ઓક્સિજન, ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી, ઇલેક્ટ્રો-પ્લેટિંગ, પતંગો, ગરમ હવાના બ્લીમ્પ્સ અને પ્રોપેલ્ડ બલૂનનો શોધક હોવાનો શ્રેય આપવામાં આવે છે.

જ્યારે ૫ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે ( સાલ લગભગ 1926 હોવી જોઈએ, કારણકે લેખનું પ્રકાશન ૧૯૨૭માં થાય છે).અમેરિકન કેમિકલ સોસાયટી, ડેટ્રોઇટ, મિશિગનમાં  એક મિટિંગ મળે છે.  જેમાં ડૉ.કોકટનુર બે પેપરની રજૂઆત કરે છે.  પ્રથમ પેપર રસાયણશાસ્ત્ર લગતું છે. જેમાં દર્શાવાયું છેકે  હાઈડ્રોજન અને ઓક્સિજનની શોધ કરનાર  કેવેન્ડિશ અને પ્રિસ્ટલી પહેલા વૈજ્ઞાનિક ન હતા. તેમના પહેલા પ્રાચીન ભારતમાં ઋષિ મુનીઓને  હાઈડ્રોજન અને ઓક્સિજન વિશેનું જ્ઞાન હતું. ત્યારબાદ તેઓ એક બીજું પેપર વાંચે છે. જેના મૂળ યહૂદી સભ્યતામાં નહીં પરંતુ આર્ય સભ્યતા છે. 


જ્યારે ડૉ. કોકટનુરે તેમને ડ્રાય ઈલેક્ટ્રિક બેટરી બનાવવાની પદ્ધતિનો અનુવાદ વાંચ્યો, જે ખ્રિસ્તી યુગની સદીઓ પહેલા લખાઈ હતી. ત્યારે સંમેલનમાં રસાયણશાસ્ત્રીઓનાં શ્વાસ થંભી ગયા હતાં. તેમના રસાયણશાસ્ત્રના જ્ઞાન પરથી, ડૉ. કોકટનુરે ઓળખી કાઢ્યું કે ડ્રાય બેટરી બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યાં સુધી તેમણે બેટરી નિર્માતાની સલાહ લીધી ન હતી, ત્યાં સુધી તેઓ જાણતા ન હતા કે, પારાના મિશ્રણવાળી ઝીંક પ્લેટનો પ્રતિક્રિયામાં શો ભાગ ભજવે છે. બેટરી નિર્માતાએ  સમજાવ્યું કે તે ધ્રુવીકરણને અટકાવે છે. ડ્રાય ઇલેક્ટ્રિક બેટરી બનાવવાની પ્રક્રિયા સમજાવ્યા પછી, અગસ્ત્ય ઋષિ આપણને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાની સમજ પણ આપે છે: આપણે જાણીએ છીએ કે પ્રાચીન લોકો માટે જાણીતી ઘણી કળાઓ ખોવાઈ ગઈ છે. ડૉ. કોકટનુર હસ્તપ્રત, "અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતામાં તેમની માન્યતાને સમર્થન આપવા માટે ઘણા પુરાવાઓ પુરા પાડે છે.

"અગસ્ત્ય-સંહિતા"ની અધિકૃતતામાં માટે "પ્રથમ સ્થાને," ડૉ. કોકટનુરે કહે છે. "હકીકત એ છેકે વોલ્ટેઇક કોષની શોધ માત્ર એક સદી પહેલા થઈ હતી.  ધ્રુવીકરણને રોકવા માટેના ઉપાયો હજુ તાજેતરમાં જ શોધવામાં આવ્યા હતા. તેઓ સૂચવે છે કે જો હસ્તપ્રત નકલી હોય તો, કાગળ અને લેખનની સ્થિતિ તપાસીને હસ્તપ્રત 50 વર્ષ કે ઘણી સદીઓ જૂની છે કે કેમ તે શોધી કાઢવું જોઈએ?. આ વાત તેમની પ્રામાણિકતાની તરફેણમાં જણાય છે. તેઓ કહે છેકે એક છેતરપિંડી સફળતાપૂર્વક ચલાવવા માટે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં પૂરતો વાકેફ હોય તે જરૂરી છે. સામાન્ય રીતે આવું  બનતું નથી કે માણસ વિજ્ઞાન અને સંસ્કૃત ભાષા બંનેમાં સંપૂર્ણ જાણકાર હોય."

"અગસ્ત્ય-સંહિતા" ની અધિકૃતતા/માન્યતાને સમર્થન આપતા તેઓ લખે છે કે. “ભારતમાં વિજ્ઞાનનું જ્ઞાન માત્ર અંગ્રેજી ભાષામાં જ ઉપલબ્ધ છે, જો કોઈ ભારતીય અંગ્રેજી શિક્ષિત રસાયણશાસ્ત્રી હોય તો તેમાં શંકા છે. ઉપરાંત  કોઈ વિદ્યુત રસાયણશાસ્ત્રીએ હકીકત જાણો કે એકીકૃત ઝીંક ધ્રુવીકરણને અટકાવે છે. તેની શક્યતા નહીવત છે. છતાં  જો કોઈએ આવું નકલી હસ્તપ્રત બનવાનું કૃત્ય કર્યું હોય, તો આવી હસ્તપ્રતને બનાવટી બનાવવા માટે તેની સંસ્કૃત સારી રીતે જાણવાની હોવી ખુબજ જરૂરી છે. જેની સંભાવના તક દૂર (સુધી નહીવત) શૂન્ય છે."

હસ્તપ્રતમાં દર્શાવેલ  "જોડિયા દેવતાઓનું નામ "મિત્ર વરુણ " ખૂબ જ જૂનાં છે.  તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ છે. 'મિત્ર' શબ્દનો અર્થ થાય છે 'મિત્ર', 'સાથી', બીજા શબ્દોમાં કહીએ તો, 'કેથોડ' કારણ કે આ સ્થાન પર થાપણ કરવામાં આવે છે. "વરુણ' નો અર્થ થાય છે 'લિક્વિફાઇડ અથવા દુશ્મન' (ઝીંકનું) અને તેથી એનોડ." આવા નોંધપાત્ર અર્થ સાથે આવા જોડિયા શબ્દનો ઉપયોગ ચોક્કસપણે ખૂબ મૌલિક વિચાર માંગી લે છે."તે જ રીતે ઓક્સિજન અને હાઇડ્રોજન માટે 'પ્રાણ' (જીવન માટે મહત્વપૂર્ણ) અને 'ઉડાન' (ઉપર-મુખી અથવા ઉપર-મુખી) નામો સમાન મૂળ અને નોંધપાત્ર છે. 


"હિંદુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુઓ વિશે જાણતા હોય તેવું લાગે છે. આવા જ્ઞાનની પ્રાચીનતાનો કોઈ પ્રશ્ન જ નથી. અનાદિ કાળથી ભારતમાં  જન્મેલી જાતિઓએ વારંવાર અમુક પ્રાર્થનાઓનું ઉચ્ચારણ કર્યું છે. જેમાં- આમાંના કેટલાક વાયુઓનો ઉલ્લેખ છે. ભારતમાં દરરોજ ભોજન સમયે લોકો દ્વારા પ્રાર્થનાઓનું પુનરાવર્તન કરવામાં આવે છે." જો આ વાયુઓનું જ્ઞાન એક અલગ ઉદાહરણ હોત,તો કોઈ આ હસ્તપ્રતના કપટપૂર્ણ સ્વભાવ પર સારી રીતે વિશ્વાસ કરી શકે છે. પરંતુ ભારતમાં રસાયણશાસ્ત્રનું ઉચ્ચ સમવર્તી જ્ઞાન એ ક્યારેય વિવાદાસ્પદ હકીકત રહી નથી. હળવા વાયુઓની તૈયારીનું તેમનું જ્ઞાન અને કોસ્ટિક આલ્કલી પદાર્થ, એક્વા-રેજીયાનું સંભવિત જ્ઞાન, તેમની જ્યોતના રંગ દ્વારા ધાતુઓની શોધ, ઝીંકને એક વિશિષ્ટ ધાતુ તરીકે ઓળખવાનું જ્ઞાન, ખ્રિસ્તી યુગની ઘણી સદીઓ પહેલા,ભારતીય જાણતા હતાં. દિલ્હી નજીક દસ ટનના ઘડાયેલા લોખંડના સ્તંભ અને નુરવર ખાતે 24 ફૂટની ઘડાયેલી લોખંડની બંદૂક જેવા તમામ મહાન સ્મારકો, પૂર્વજરૂરીયાતો આ હસ્તપ્રતની "અગસ્ત્ય-સંહિતા" પ્રામાણિકતા દર્શાવે છે."

પેપરની રજૂઆત બાદ મીટિંગમાં ઉપસ્થિત થયેલ લોકો ડોક્ટરનો ખાસ આભાર માને છે. તેઓ સહમત થાય છે કે ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા પણ નિર્ણાયક છે. તેમણે રજૂ કરેલ પેપર  ભવિષ્યમાં “Isis” પ્રકાશિત થશે તેવી વાત પણ કરવામાં આવી હતી. “Isis” ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટી દ્વારા પ્રકાશિત  હતી,  વૈજ્ઞાનિક અને ઐતિહાસિક માહિતીનું  સંકલન કરતી જર્નલ છે.  ધ હિસ્ટ્રી ઓફ સાયન્સ સોસાયટીએ વિજ્ઞાનના ઇતિહાસના શૈક્ષણિક અભ્યાસ માટે પ્રાથમિક વ્યાવસાયિક સોસાયટી છે. તેની સ્થાપના 1924માં જ્યોર્જ સાર્ટન, ડેવિડ યુજેન સ્મિથ, અને લોરેન્સ જોસેફ હેન્ડરસન દ્વારા કરવામાં આવી હતી. મુખ્યત્વે “આઇસિસ”ના પ્રકાશનને સમર્થન આપવા માટે, 1912માં સાર્ટનએ વિજ્ઞાનના ઇતિહાસની જર્નલ શરૂ કરી હતી.  આ જર્નલમાં ત્યારબાદ ડૉ. વામન આર. કોકટનુરનાં  પેપર રજૂ થયા કે નહી તેની કોઈ માહિતી મળતી નથી.  કારણ કે તે સમયના “આઇસિસ”  જર્નલની નકલ મારી પાસે ઉપલબ્ધ નથી.  તેમ છતાં  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” જર્નલ માં રજૂ થયેલ વિગતોને લઈને દૂધ અને પાણીને અલગ કરી શકે તેવી વાત કરી શકાય છે. કારણકે  “ધ મિનેસોટા એલ્યુમની વીકલી” મિનેસોટા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવતી જર્નલ છે.